ઇન્ડિયા આવે એક અઠવાડિયું થયું તો પણ જેટ લેગ હજૂ જવાનું નામ લેતો નથી.ઊંઘ તો સાવ વેરણછેરણ થઇ ગઈ છે..!! અક્ષરધામમાં હું એકલોજ છું. અરે હા અક્ષરધામ એટલે અમદાવાદનું મારું ઘર. રાત તો માંડ પૂરી કરી. સવારના ચાર થયા એટલે ઊઠ્યો બ્રશ કરતા કરતા જ ચા બનાવી. ચાનો મોટો મગ ભરીને બહાર કમ્પાઉન્ડમાં આવીને હીંચકા પર બેસી ગયો. મારી રાહ જોઇને બહાર દરવાજા પાસે બેસી રહેલા બાર્બી અને ડાયના મને જોતાંજ મારા પહેલા હીંચકા પર ચઢી ગયાં. હું હીંચકા ઉપર બેઠો એટલે પહેલાતો મારા ખોળામાં બેસવા બંને લડ્યા અને પછી મારી બાજુમાં બેસી ગયાં. બાર્બી અને ડાયના…બંને મારી બહુજ લાડકી ફીમેલ ડોગ છે. બંને એકાદ મહિનાની ઉંમરના હશે ત્યારે હું લાવેલો. બ્રાઉન કલરની “આયરીશ સેટર” ખૂબ રૂપાળી અને જૂલ્ફાળી હતી એટલે એનું નામ બાર્બી અને આઈવરી કલરની લેબ્રડોર ડાયેના પણ ખૂબ રૂપાળી…એટલે એને ડાયેના નામ અમે આપેલાં. બાર્બી અને ડાયેના બન્ને મને ખૂબ વહાલી હતી અને એમને હું. એવુંજ તો અમારા પોલીનું હતું ને..! પોલી…એ અમારો પેરટ-પોપટ હતો… એને મમ્મી – નયના બહુ વહાલી કારણ એ રોજ એને કિચનમાં જે કાંઈ બને એ નવુંનવું ખવડાવે. આશ્ચર્યની વાત તો એ હતી કે એને ભજિયા અને આઈસક્રીમ બહુ ભાવે. કિચનમાં કશું પણ બનતું હોય અને એને સુગંધ આવતાની સાથે મમ્મી…મમ્મીઈઈઇ….મમ્મા બસ એ રટણ ચાલુ કરી દે…અને જેમ નાનું બાળક જૂદાજૂદા લહેકા કરીને મમ્મીને લાડથી બોલાવે એમ અમારો પોલી પણ મમ્મીને બોલાવે. આ બધાં અમારા પરિવારનો એક એવો હિસ્સો હતાં કે અમેરિકા જતી વખતે એમને અમારાથી જૂદા કરવાનો સમય આવ્યો ત્યારે એ બેજુબાન પણ રડતા હતા અને અમે પણ…! જોકે એ બધાને અત્યંત સુરક્ષિત જગાએ અમે મૂક્યા હતા. બાર્બી-ડાયેનાને તો અમે જ્યારે પણ ઇન્ડિયા આવીએ એટલે અમારી સાથે લઈ આવીએ.
આજે સવારે મારા ગામ ભડકદ જવું છે. આણંદ જિલ્લાનું સાવ નાનકડું અંતરિયાળ ગામ અને ત્યાં અમારા ગ્રામદેવતા છાંયલા મહારાજની દેરીએ બાધા કરવા જવું છે. નાનપણથી બા-દાદાએ અમારામાં છાંયલા મહારાજ તરફ શ્રધ્ધાનું જબરદસ્ત આરોપણ કરેલું એટલે વર્ષે એકાદવાર તો હું ભડકદ દર્શન કરવા જાઉં.
અર્જુનસિંગને ગાડી લઈને બહુ જલદી બોલાવ્યા છે. છાપું આવવાની હજુ વાર છે. ચા પીતાપીતા અક્ષરધામ સાથેની અને એની સાથે જોડાયેલા લોકોની સ્મૃતિનું ધણ ધસી આવ્યું મારા તરફ. હીંચકા પર ઝૂલતાં ઝૂલતાં મન પણ સરવા માંડ્યું એ લોકોની સાથે. વિચારુ છું કે આપણા જીવન સાથે જોડાતાં લોકો શું કોઈ ઋણાનુબંધથી જ આવતા હશે..??? કર્મનો કાયદોતો કહે જ છે કે ગયા જન્મની લેણદેણનો હિસાબ આ જન્મે થાય છે. કેટલાક લોકો સંબંધે કાંઈ ના હોય પણ કેટલા નિકટ થઇ જતાં હોય છે તો કેટલાક રક્તથી જોડાયેલા પણ રક્તપિપાસુ બનતાં હોય છે અને ત્યારે થાય છે કે કુદરતના હિસાબોની ચુકવણી તો કરવીજ રહી.
બધાં જ લોકો, પશુપંખી અને માણસો બધાં યાદ આવી ગયા. ગોપાલસિંગ,આસુસિંગ,ઇન્દ્રવદન, હસવંત…શારદા, મણીબહેન….! આ બધાજ લોકો એમના મારા પ્રત્યેના ભાવ, આદર અને લાગણીથી મને તરબતર કરી ગયાં છે, ભીંજવી ગયાં છે. સાવ નીચલા વર્ગના અને સમાજની દ્રષ્ટીએ કહેવાતી નીચી જાતિના છે પણ મારા માટે એ મારા પરિવારના સદસ્ય છે. એ લોકો તદ્દન નિસ્વાર્થપણે કોઇપણ અપેક્ષા વગર સતત મારી પડખે ઉભા રહ્યા છે…મારી સેવા કરી છે. વર્ષ ૨૦૦૬મા હું જ્યારે મૃત્યુના દરવાજે દસ્તક દેતો ઉભો હતો ત્યારે એ લોકોએ એમની જેમાં શ્રદ્ધા હતી એ દેવ- દેવીને આજીજી કરી…પ્રાર્થના કરી…ઇબાદત કરી. ગોપાલસિંગે તો રાત-દિવસ જોયા વગર મારી ખૂબ સેવા કરી અને એમની સાથે લેણદેણેય કેવી..! હું અમેરિકા કાયમ માટે ગયો અને એના છ-આઠ મહિનામાંજ ગોપાલસિંગ અવસાન પામ્યા.
આસુસિંગ અમારા માળી અને અક્ષરધામનો બગીચો સંભાળે. વર્ષો સુધી અમારી સાથે રહ્યા પછી એ દેશમાં-રાજસ્થાન જતા રહ્યા. બે-ત્રણ વર્ષ પછી એક દિવસ અચાનક વહેલી સવારે અક્ષરધામ આવ્યા અને મને જોઇને એમને હાશ થઇ. મારા માથે અને ચહેરાપર હાથ ફેરવ્યો અને ખાતરી કરી કે એ સપનું તો નથી જોતાને…! રસોડામાં જઈ બે-ત્રણ ગ્લાસ પાણી પી આવ્યા. આ એ સમય હતો જ્યારે મારી હાર્ટ સર્જરી પછી હું હોસ્પિટલથી ઘરે આવ્યો હતો. આમ સાવ અચાનક આવવાનું મેં કારણ પૂછ્યું તો એમની આંખો ભરાઈ આવી અને કહે: “સાહેબ બે દિવસ પહેલા મને મારા “ભેરુ બાબા” સપનામાં આવ્યા અને કહ્યું તારા સાહેબ મુશ્કેલીમાં છે એટલે હું તો રાતની બસ પકડીને આવી ગયો. બસ હવે તમને જોયા એટલે મને શાંતિ થઇ. મારા ભેરુબાબાએ મને તમને મળવા મોકલ્યો સાહેબ.” ભેરુબાબા એટલે કાલ ભૈરવ અને આસુસિંગ ભૈરવના ચુસ્ત ઉપાસક હતા.
ઇન્દ્રવદન અને હસવંત એ હરીજન પરિવારના બાપ-દીકરો આવતા જન્મે મારા દીકરા થઈને જન્મે તો નવાઈ નહિ. ઇન્દ્રવદન મારો પ્યૂન હતો અને મારી આંખ ફરે અને ઇન્દ્ર્વદનના પગ ફરે. એને ખબર હોય કે સાહેબને ક્યારે અને શું જોઇશે. મારી તમામ આદતોથી, વ્યસનોથી અને વ્યવહારોથી એ વાકેફ. મારું પ્રમોશન થયું અને ટ્રાન્સ્ફર થઇ અને થોડાં વર્ષો મારાથી દૂર થયો બસ એની જીવનની એ કરુણતા કે એ દારૂની લતે ચડી ગયો અને મરી ગયો પણ એનો દીકરો હસવંતતો નાનપણથી જ અમારી સાથે અક્ષરધામમાં જ ઉછેર્યો અને આજે પણ અમને પપ્પા-મમ્મીજ કહે છે. અક્ષરધામનું અંગત ખાનગી બધું એને ખબર હોય.
**** **** ****
એક્ષપ્રેસ હાઈવે પર ગાડી ૧૨૦ કિમી ની ઝડપે દોડી રહી છે અને મન એનાથીયે વધારે ગતિથી ભાગી રહ્યું છે મારા ગામ ભણી. ભડક્દની હદમાં પ્રવેશતાં આવેલું તળાવ અને એના સામે પશ્ચિમ કાંઠે આવેલું મહાદેવનું બહુ જૂનું મંદિર. હું અને જમનાગીરી ત્યાં રોજ સાંજે આરતી કરવા જતા. જમનાગીરી મારો બાળપણનો દોસ્ત અને એના બાપુ પુજારી હતા એટલે ગામના બંને મહાદેવની પૂજા આરતી એ કરતા. તળાવના કાંઠે આવેલું પીલુડીનું ઝાડ અને એ ઝાડ પર ચડીને તળાવમાં ભૂસકા માર્યાનું યાદ આવ્યું. બા કપડાં ધોવા તળાવે જાય ત્યારે હું અને મારા ભાઈબંધ અચૂક એમની સાથે જતા અને મન ભરીને ધુબાકા મારતા ખૂબ મસ્તી કરતા… આજે એ વાત વિચારતાં પણ કંપારી છૂટે છે પણ મને યાદ છે એક બાજુ ગામના ઢોર નહાય અને એની બાજુમાં અમે પણ નહાતા. એક નોસ્ટેલજીક અનુભૂતિ થાય છે… એ ૫૦ વર્ષ પહેલાની મસ્તી અને તોફાન અને બધું યાદ આવતાં.
મારું ગામ સુવિધાઓ વગરનું સાવ અવિકસિત. ઓછું શિક્ષણ પણ પ્રેમાળ લોકોથી ભરેલું જ્યાં બે કૂવા, એક તળાવ, બે મહાદેવના મંદિર, એક રામજી મંદિર, એક સ્વામીનારાયણ મંદિર, વડના ઘટાદાર સાત આઠ ઝાડ છે અને એમાંય ગામની દખણાદી ભાગોળે આવેલો રામો ડુઓ વિશાળ વડનું ઝાડ, એક લાઇબ્રેરી છે અલ્પ પુસ્તકો સાથેની, એક પ્રાથમિક નિશાળ છે અને હવે તો હાઈસ્કૂલ પણ છે. એક સાર્વજનિક દવાખાનું છે.
ભાથીખતરીનું દેરું, છાંયલા મહારાજની દેરી, ગાંડા દેહઈની મેલડી માતાનો મઢ છે. ઓતરાદી ભાગોળે જતાં ચબૂતરો અને એની સામે પંચાયતનું મકાન છે, અહીં પોસ્ટ ઓફીસ છે, પુનમકાકા પોસ્ટ ઓફીસ સંભાળે છે. રમણ દેહઈનું બીડીનું કારખાનુંય અને ચતુરકાકાની દરજીની દુકાન પણ છે. આ ગામમાં ધારાળા અને પાટીદારોની વસતી વધારે, પાંચ-છ ઠક્કરોનાં ઘર બે-ચાર બ્રાહ્મણનાં ઘરો, દસ-બાર હરિજનના અને દસેક મુસલમાનોનાં ઘર.
અર્જુનસિંગે ગાડી ટોલનાકા પાસે ઉભી રાખી ત્યારે હું અચાનક ભડક્દથી અહીં ટોલનાકે આવી ગયો… ટોલટેકસ ચૂકવીને ગાડી દોડવા માંડી સડસડાટ અને મારું મન પણ ફરી પાછું ગામ સાથે જોડાયું. મારા દોસ્તો જમનાગીરી, અરવિંદો અને નટુ વાળંદ, મફો રબારી, લીલીફોઈનો કનુ, શકરાકાકા ની મધલી અને પુષ્પી, પુંડરીક બ્હામણ, દીનો(મારો કાકો થાય), હર્શદીયો, ડગડી અને લલી એ બેય મારાથી ઉંમરમાં બહુ નાની પણ મારી કુટુંબી ફોઈ થાય. આ ગામમાં કાશી ગટ્ટી અને નાકકટ્ટી ડોશી હતી.. એકાવાળા ઈસ્માઈલકાકા અને સુબાકાકા અને જેમણે મને લાગણીથી બહુ ભીંજવ્યો છે એ મારા જહાંગીરકાકા પણ છે.
ભાગોળમાં ગાડી પ્રવેશી અને સીધા છાંયલા મહારાજની દેરીએ ગયા… દર્શન અને બાધાનું કામ આટોપી ગામમાં એક ચક્કર મારીને ત્યાંથી અમદાવાદ જવા નીકળી જઈશ એમ વિચાર્યું. ગામમાં હવે અમારું ન તો ઘર હતું કે ના કોઈ સગુંવહાલું પણ કેટલાંક જૂના લોકો હતા જે પરિવારો સાથે હજુ સંબંધ જળવાઈ રહેલો. અર્જુનસિંગને ગાડી ગામમાં લેવા જણાવ્યું….ગામનાં એકેએક ઘર…રસ્તા…. ઝાડ-પાન, ખડકી-મહોલ્લા, મંદિર-મહાદેવ, આવનજાવન કરતા લોકો ઘણું બધું બદલાયેલું નજર આવ્યું પણ હું મારા એ ભડકદમાં મારું બચપણ શોધતો રહ્યો..મારા એ દોસ્તો ને શોધતો રહ્યો.. મારા કાનમાં અચાનક મહાદેવમાં થતી આરતીનો ઘંટારવ અને ભોળીભાળી જબાનમાં ગ્રામજનો દ્વારા કર્કશ અવાજમાં થતી આરતીનો નાદ સંભળાયો. ગાડી રોકાવી. બરોબર ગામના ચૌટામાં જ ઠક્કરની ખડકી અને ગામના મુખ્ય રસ્તા પરજ દાદાજીની દુકાન અને અમારું ઘર દેખાયું…. અને એ સાથે સ્મૃતિનું આખેઆખું ધણ મારું શૈશવ લઈને આવી પહોંચ્યું.
દાદા અંબાલાલ શેઠનો ગામમાં વટ-આબરૂ જોરદાર. નગરશેઠ કહેવાય. આજુબાજુના દસ-બાર ગામોમાં દાદાનો વેપાર વિસ્તરેલો અને બધાજ ગામોમાં અંબાલાલ શેઠનો મોભોજ આગવો અને એમના મોભાને લઈને અમારોય ગામમાં ખૂબ વટ. મંદિર-મહાદેવ, સાર્વજનિક દવાખાનું, ચબૂતરો આ બધાનો વહીવટ એમના હસ્તક. ગામમાં કોઈ પણ મહત્વનો નિર્ણય લેવાનો હોય તો એમનો અવાજ મુખ્ય હોય.
અમે અમદાવાદ રહીએ એટલે વેકેશનમાં જવાનું થાય અને પાછું વધારેતો હું જ જાઉં. એકાદ બે વર્ષે અમે બધા ભાઈઓને લઈને જયા (હવે અમે એને મમ્મી કે જીમી કહીએ છીએ) ભડકદ જાય ત્યારે દાદા અમને સ્ટેશનથી લેવા એકો મોકલે. નડિયાદથી ભાદરણવાળી નાની ગાડીમાં દેવાના પાટિયે ઉતરવાનું અને ત્યાંથી એકાદ ગાઉ દુર અમારું ભડકદ ગામ. ઈસ્માઈલકાકા એકો લઈને અમને લેવા આવે. મમ્મીને બધા જયાભાભી કહે અને આમન્યા પણ ખૂબ રાખે. બસ અમારું આગમન થયાની જાણ થતાંજ ગામલોકો વારાફરતી મળવા આવી જાય. જહાંગીરકાકાને તો અગાઉથી જ ખબર પડી ગઈ હોય કારણ કે બા એ એમને પહેલેથીજ મમ્મીની મદદમાં રોકી લીધા હોય. પાણી ભરવા કુવે જવું પડે. આઘું ઓઢીને અને માથે બેડાં મુકીને ગામ વચ્ચેથી પાણી ભરીને આવવાનું. મમ્મીની ઉંમર નાની અને બેડાં માથે ઊંચકવાની પ્રેક્ટીસ નહિ એટલે એક વખત ગામ વચ્ચેજ બેડું પડી ગયેલું અને બસ ત્યારથી જહાંગીરકાકાએ પાણી ભરવાની જવાબદારી સ્વૈચ્છિક રીતે સ્વીકારી લીધેલી.
“ શમુકાચીઈ….(શમુકાકી) ભૈશા’બ આ ભાભીને પોણી ભરવા શું કોમ મોકલો સો… ઉં છું નઅઅ…ઉં ભરી લાયે પોણી…પણ ભૈશાબ આ બચારી નોની બાર ભાભીને કુએ ના મોકલશો” ત્યારથી અમે જઈએ ત્યારે પાણી ભરવાનું કામ જહાંગીરકાકાનું. અમારા દસ-પંદર દિવસના કે એકાદ મહિનાના રોકાણ દરમ્યાન જહાંગીરકાકા અમારી સેવામાં હોય. ક્યારેક શાકપાંદડું લઈ આવે અને બા ને કહે…” શમુકાચીઈઈઈ… લ્યો બર્યું ઉં આ તુવરની શેંગો અન પાપડી લાયો સુ તે આ શોકરાંઓન ભૈડકું કરી આલજો….” અમને બધાને જોઇને ખૂબ પ્રેમાળ જહાંગીરકાકાનો હરખ ના માય. સતત એમને એમજ થાય કે હું આ બધા માટે શું કરું? વળી પાછા બે-ચાર દિવસ થાય એટલે મોટી પવાલી ભરીને દૂધ લઈ આવે અને એમના વિલંબિત લય અને આગવા લહેકામાં બાને કહે “ શમુકાચીઈઈઈ આ શોકરાંઓન બચારોંનઅ અમદા’દમોં ચ્યો દૂદપાક ખાવાનો મલવાનો તે લ્યો બર્યું મું આ દૂદ લાયો શુ તે ઓમને દૂદપાક કરી આલજો..” આવે એટલે બાની જોડે બેસે ગામની બધી વાતો કરે અને બાની છીંકણીની ડબ્બીમાંથી મોટી ચપટી ભરીને બેય બાજુ વારાફરતી છીકણી ચઢાવી દે..
એમની વિશિષ્ટ વેશભૂષા અને એમનો દેખાવ, એમની ચાલ, એમનો અવાજ અને એમનો બોલવાનો લહેકો તદ્દન સ્ત્રૈણ… દાદાની દુકાને થી પટાવાળું ભૂરું કે કથ્થઈ રંગનું કાપડ ખરીદે અને એક કાપડમાંથી લેંઘો અને સેન્ડો બંડી ચતુરકાકા પાસે સિવડાવે. વાળ પાછળથી લાંબા રાખે. એમની આ મનોશારીરિક અવસ્થાને કારણે એ ગામમાં બહુ લોકો જોડે ભળે નહીં. બા-દાદા એમને બહુજ સાચવે એટલે જહાંગીરકાકાને પણ એમના પર બહુ ભરોસો. બાને એ ક્યારેક શમુકાચી કહે તો ક્યારેક બા કહીને બોલાવે અને દાદાને તો એ હંમેશાં બાપુ જ કહે.
હું કુટુંબમાં સૌથી પહેલું સંતાન એટલે સૌનો લાડકો. બા એ મારા જન્મ પહેલા બાધા રાખેલી અને મને ભીખારી કરેલો એટલે ગામમાં મારું નામ ભીખો-ભીખલો કે ભીખા શેઠ. જેવી જેની મારી સાથેની આત્મીયતા-લગાવ કે અંતર અને એ પ્રમાણે મને સૌ સંબોધન કરે. નાનપણમાં આપડે બહુ તોફાની અને દાદા બહુ ગુસ્સાવાળા એટલે ક્યારેક દાદા ચીડાય એટલે નેતરની સોટી લઈને મારવા દોડે… મોટેભાગેતો હું એમના હાથમા ના આવું…. સીધો પહોંચી જાઉં જહાંગીરકાકાના શરણમાં. બસ પછી કોઈની તાકાત છે કે મને હાથ અડાડે…!! દાદાનો સામનો એ મક્કમતાથી કરે.. “ ઓવઅઅઅ… શેના મારવા દોડ્યા સો…..????? ના…ના આથ અડાડ્યો સ તો પશે તમારી વાત તમે જોણજો હા… ઓવ મોટા નેકળી પડ્યાશ શોકરાન બચારાન મારવા… મારા હમ છ જો અમાર ભીખાશેઠને આથેય અડાડ્યો સ તો..”
દાદાને ધરાહાર પાછા વળવુંજ પડે…
આવી નાનીનાની અનેક ઘટનાઓ મારા બાળમાનસ પર અંકિત થઇ ગયેલી જે અત્યારે મન:તલ પર ઉભરી આવી.
એક વખત દાદા વેકેશનમાં મને લઈ ગયેલા અને હું બહુ માંદો પડ્યો… તાવ ઉતારવાનું નામ જ ના લે.ગામમાં એકજ ડૉક્ટર અને એમની દવા ઉપરાંત ઘરના ઉપાયો અને શમુબાની બાધા-આખડી પણ તોયે કોઈ અસર ના થાય. જહાંગીરકાકાને ખબર પડી અને આવ્યા ઘરે… દિવસ-રાત મારી જોડે બેસી રહે…. અને પછી ધીમેધીમે તાવ ઉતરવા માંડ્યો. પછી એમણે કહ્યું કે આ મો’રમે ભીખાને તાબૂતના દીદાર કરએશ… ભડકદમા બહુ થોડા ઘર હોવા છતાં મોહરમે તાબૂત નીકાળતા અને યાદ આવે છે મને કે તાબૂતના દીદાર કરવા લઈ ગયેલા ત્યારે હું બહુ ડરી ગયેલો.
**** **** ****
અર્જુનસિંગ સમજી ગયેલા કે હું મારા બાળપણની સ્મૃતિમાં ખોવાયો છું પણ ખાસો એવો સમય થઇ ગયો એટલે એમણે મને પાણી આપ્યું…. મારી તંદ્રા તૂટી, હું એ નોસ્ટેલ્જીયામાં થી બહાર આવ્યો. કોઈકે જમનાગીરીને સંદેશો આપ્યો એટલે એ મને મળવા દોડી આવ્યો. મને એના ઘરે લઈ જવાના એના આગ્રહને મેં ખાળ્યો અને મહાદેવના ઓટલે જઈને બેઠા. એકદમ ઠંડક હતી અને હું એ બધી સ્મૃતિની અનુભૂતિ કરવા માંગતો હતો. બહુ વાતો કરી. જહાંગીરકાકાનું નામ લેતાંજ એણે કહ્યું:
“હવે જ્હોંગીરો ગામમાં બહુ બહાર નથી નીકળતો.”
“કેમ ??”
“એની મનોશારીરિક પરિસ્થિતિને કારણે હવેના છોકરાઓ એને બહુ હેરાન કરે છે.”
ગામમાં એમને નાનામોટા બધા જ્હોંગીરો કહીનેજ બોલાવે છે. બહુ દુઃખ થયું એ સાંભળીને….હવે મારું મન અધીરિયું થઇ ગયું એમને મળવા. અમે બંને ચાલતાં ચાલતાં નીકળ્યા અને અર્જુનસિંગ ગાડી લઈને જહાંગીરકાકાના મહોલ્લા તરફ આવ્યા. અમે એમના ઘેર પહોંચ્યા અને હું તો આભોજ બની ગયો. એકદમ વૃદ્ધ સફેદ લેંઘો એકદમ પહોળી મોરીનો અને ઉપર બદામી રંગનું શર્ટ પહેરેલું. ઢીચણ સુધી લેંઘો ઉપર ચડાવેલો અને ઉભડક બેઠેલા. ચૂલા પર રોટલા કરતા હતા અને બાજુમાં દીવેટોવાળા પ્રાયમસ પર શાક મુકેલું. ઓશરીમાં ચૂલો હતો અને બહાર મહોલ્લામાં એમની પીઠ દેખાતી હતી. મારા મનમાં જે જહાંગીરકાકાનું ચિત્ર હતું એતો સાવ ઊલટું થઇ ગયેલું….મારું બાળપણ જે જહાંગીરકાકા જોડે વીતેલું એ જહાંગીરકાકા તો ક્યાંય દેખાતા ન હતા. હું તો દુવિધામાં હતો અને એમને ઓળખીજ ના શક્યો. જમનાગીરીએ મને કહ્યું: “સામે ચૂલા પાસે રોટલા બનાવે છે એ જ છે તારા જહાંગીરકાકા”. હું થોડો નજીક ગયો અને પાછળથી બુમ પાડી.
“ જહાંગીરકાકા ….!!!” એમણે કદાચ સાંભળ્યું નહીં અથવા આ સંબોધન સાંભળવાની ટેવ એમના કાન ને છૂટી ગઈ હતી. મેં ફરી જરા જોરથી બુમ પાડી. “ જહાંગીરકાકા…!!”
એ ઉભડક બેઠાબેઠા જ પાછળ ફર્યા. “ કોન હૈ બેટાઆઆઆઅ” એજ એમનો પાતળો અવાજ અને વિલંબિત લય…. મને આગંતુકને જોઇને જહાંગીરકાકા એકદમ ઉભા થઇ ગયા… અને પાછું યાદ આવતાં વાંકા વળી ને રોટલો કલાડીમાં ઉલટાવ્યો અને શાકનો પ્રાયમસ ધીમો કર્યો અને તાવડીમાં શાક હલાવ્યું. બાજુમાં ડોલમાંથી સહેજ છાલક મારી હાથ ધોયા અને શર્ટની કોરથી હાથ લૂછ્યા….અને ફરી પૂછ્યું “ કોણ હૈ બેટાઆઆ..”
“જહાંગીરકાકા મને ના ઓળખ્યો…?”
“ ના બેટા હાચુ… નઈ પે’ચાણા… અન અવ આ ઓંસ્યોય ઓછુ ભાળ સ..”
‘ જહાંગીરકાકા હું ભીખો.. ..”
“ ભીખો ….???”
“ હા હું ભીખો….અંબાલાલકાકાનો …મધુભઈનો છોકરો અમદાવાદથી આયો… આ બધા સંદર્ભોથી એકદમ ઓળખી ગયા અને એ પછીની એમની પરિસ્થિતિ અને મારી પરિસ્થિતિનો અનુભવ એ મારા જીવનની સૌથી વધારે આનંદમીશ્રીત દુઃખની ઘડી હતી.
“ ભીખા…બેટાઆ… તું ચ્યોથી અત્તારઅઅ…!!!”
મેં મારું ભડકદ જવાનું કારણ કહ્યું.. જહાંગીરકાકા તો એવા રઘવાયા થઇ ગયા જાણે એમને થતું હતું કે શું કરું…? પાણી લેવા ગયા અને પાછા વળીને આવ્યા અને ખાટલો પાથર્યો. સુતરનું વા’ણ ભરેલો ખાટલો જેમાં ઠેર ઠેરથી દોરીઓ ખસી ગયેલી અને એના ઉપર એમણે ડામચિયા પરથી ગોદડી લાવીને પાથરવા માંડી. ગોદડીની હાલત ખાટલા જેવીજ હતી. ગાભામાંથી બનાવેલી કાણા પડેલી મેલીઘેલી ગોદડી પાથરતા એ સંકોચાતા હતા એટલે મેં એમને કહ્યું.. “ જહાંગીરકાકા રહેવા દો હું અહીં નીચે બેસું છું” પણ એમને ખરાબ લાગશે એમ લાગ્યું એટલે હું એ કહે એમ કરતો રહ્યો. ઘરમાં ખાસ કશોજ સામાન દેખાતો નહતો. અમે ઓશરીમાં બેઠા હતા અને અંદર એક ઓરડો હતો. એમણે તો વાતો કરવા માંડી અને રડવા માંડ્યું કારણ એમના માટે એ ઘટનાજ એટલી આશ્ચર્યજનક હતી કે એમને કોઈ મળવા આવે કે એમની ખબર જોવા આવે. જીવનભરના લોકોના ઉપહાસ અને ઉપેક્ષાએ એમને અત્યંત સંકોચી કાઢ્યા હતા. મારી બરોબર અને અડોઅડ એ બેઠા હતા. મારા માથા પર અને મારા ચહેરા પર એ હાથ ફેરવતા જાય અને ચોધાર આંસુએ એ રડતા જાય. “ મેરા બેટા… મારો ભીખો.. મારા દીકરા તું મારી ખબર લેવા આયો બેટાઅ….” આ પ્રેમની અનુભૂતિ એ જીવનની સર્વોત્તમ ક્ષણ હતી… અને એમના આંસુ અને એમનો મારા પ્રત્યેનો પ્રેમ જોઇને ગમે એવા પથ્થર દિલ ઇન્સાનની આંખો પણ કોરી ના રહી શકે. પછી તો એમને બા-દાદા સાથેના એમના જીવનમાં બનેલા પ્રસંગો યાદ કરવા માંડ્યા અને કહેતા કહતા રડવા માંડ્યા.
“ મારી બા અન મારા બાપુ ન ઉ બઉ વા’લો અતો ભીખા..!” હવે એમણે દાદા અને બા ને મારી બા અને મારા બાપુ થી સંબોધવા માંડ્યા.
“ બેટા ઉ તો બઉ એકલો થઇ જ્યો. મારી બા અન મારા બાપુ મન અંઇ મેલી અન અમદા’દ જતા રયા… પસ તો કુણ મારું..?? મારી બા મારી બઉ કારજી કરતી ‘તી. એક દાડો મન બઉ તાવ ચડ્યો અન ઉભોય ના થઇ હકુ તે મારા હાતર ખીચડી અન દૂદ લઈ ન આઈ મારી બા… મન ખવરાયુ અન પસે દાક્તર પોહેથી મારા હાતર દવા લઈ આઈ. મન દવા પઈ અન ચોંય હુધી મારી પડખે બેહી રઇ અન મારા માથ પોણીનાં પોતા મેલ્યા. મારી બાન ઘેર જત મોડું થ્યુ તે મારા બાપુય પાસર હોધતા હોધતા આઈ ચડ્યા અન પસઅઅ એય મારી પોહે બેઠા…” એટલું બોલતા બોલતા તો નાના બાળકની જેમ રડી પડ્યા… હું એમની બાજુમાં જ બેઠેલો પણ એમના ખભે હાથ મૂકી એમને આશ્વાસન આપવા જેટલી ના તો મારી હિમ્મત હતી કે નાતો મારી પરિસ્થિતિ કારણ હું પણ મારા આંસુ ને ન હતો ખાળી શકતો. એમની પાસે હું એકાદ બે કલાક બેઠો હોઈશ પણ એમાંની એકાદ બે ઘડી જ એવી હશે કે જ્યારે એ રડ્યા ના હોય.
ફળિયામાં એ વારંવાર નજર દોડાવતા હતા અને એટલામાંજ એક નાનકડો છોકરો દેખાયો અને એમણે બુમ પાડી “ ઇમરાન ઓ બેટા ઇમરાન ઇધર આતો બેટા…જા તો મેરે બચ્ચે દેખ મેં’માન કે વાસ્તે શોડા લીયા….” મારામાં કંઇજ નથી પીવું એવું કહેવાની હિમ્મત ન હતી. અનિચ્છાએ પણ હું સોડા ગટગટાવી ગયો. ક્યાંય સુધી વાતો કરી – સાંભળી અને પછી મેં ઇજાજત માંગી…” જહાંગીરકાકા… હું જઉં…?”
“ જઈશ બેટા…. અવ ચાણે પાછો આયેશ….?? દેખ બેટા અવ તો મલાય કે નાય મલાય… મુંય અવ ઘૈડો થઇ જ્યો તે પશ અવ તો કોંય કેવાય નઈ બેટા…”
એમની ઇજાજત લઈને હું ત્યાંથી નીકળ્યો અને ત્યારે જોયેલા એમની આંખોનાં આંસુ … એમનો આવજો કહેવા ઉંચો થયેલો હાથ….એમનો નિરાશ ચહેરો….અને મોઢામાંથી નીકળેલો એ “ આવજે બેટા..”નો અવાજ હું ક્યારેય નહિ ભૂલી શકું…તો એનો પડઘો તો હું કેમ કરીને પાડી શકવાનો ????
મહોલ્લામાંથી હું ડાબી બાજુએ વળ્યો ને મારી પીઠ દેખાતી બંધ થઇ ત્યારે પણ ઊંચા અવાજે એમના મહોલ્લામાં લોકોને સંબોધીને બોલાયેલા શબ્દો હજુ મારા કાનમાં પડઘાયા કરે છે.
“ મેરા બેટા થા….મેરા ભીખા….. અંબાલાલ શેઠ કા…. મેરી બા કા લડકા થા…મેરેકુ દેખને વાસ્તે આયા થા… મેરા ભીખા આયા થા….”
***********
વિજય ઠક્કર
ડિસેમ્બર ૨૭, ૨૦૧૬
રાતના ૨.૪૫ વાગે