Month: ડિસેમ્બર 2016

મેરા બેટા આયા થા..

ન્ડિયા આવે એક અઠવાડિયું થયું તો પણ જેટ લેગ હજૂ જવાનું નામ લેતો નથી.ઊંઘ તો સાવ વેરણછેરણ થઇ ગઈ છે..!!  અક્ષરધામમાં હું એકલોજ છું. અરે હા અક્ષરધામ એટલે અમદાવાદનું મારું ઘર. રાત તો માંડ પૂરી કરી. સવારના ચાર થયા એટલે ઊઠ્યો બ્રશ કરતા કરતા જ ચા બનાવી. ચાનો મોટો મગ ભરીને બહાર કમ્પાઉન્ડમાં આવીને હીંચકા પર બેસી ગયો. મારી રાહ જોઇને બહાર દરવાજા પાસે બેસી રહેલા બાર્બી અને ડાયના મને જોતાંજ મારા પહેલા હીંચકા પર ચઢી ગયાં. હું હીંચકા ઉપર બેઠો એટલે પહેલાતો મારા ખોળામાં બેસવા બંને લડ્યા અને પછી મારી બાજુમાં બેસી ગયાં. બાર્બી અને ડાયના…બંને મારી બહુજ લાડકી ફીમેલ ડોગ છે. બંને એકાદ મહિનાની ઉંમરના હશે ત્યારે હું લાવેલો. બ્રાઉન કલરની “આયરીશ સેટર” ખૂબ રૂપાળી અને જૂલ્ફાળી હતી એટલે એનું નામ બાર્બી અને આઈવરી કલરની લેબ્રડોર ડાયેના પણ ખૂબ રૂપાળી…એટલે એને ડાયેના નામ અમે આપેલાં. બાર્બી અને ડાયેના બન્ને મને ખૂબ વહાલી હતી અને એમને હું. એવુંજ તો અમારા પોલીનું હતું ને..! પોલી…એ અમારો પેરટ-પોપટ હતો… એને મમ્મી – નયના બહુ વહાલી કારણ એ રોજ એને કિચનમાં જે કાંઈ બને એ નવુંનવું ખવડાવે. આશ્ચર્યની વાત તો એ હતી કે એને ભજિયા અને આઈસક્રીમ બહુ ભાવે. કિચનમાં કશું પણ બનતું હોય અને એને સુગંધ આવતાની સાથે મમ્મી…મમ્મીઈઈઇ….મમ્મા બસ એ રટણ ચાલુ કરી દે…અને જેમ નાનું બાળક જૂદાજૂદા લહેકા કરીને મમ્મીને લાડથી બોલાવે એમ અમારો પોલી પણ મમ્મીને બોલાવે. આ બધાં અમારા પરિવારનો એક એવો હિસ્સો હતાં કે અમેરિકા જતી વખતે એમને અમારાથી જૂદા કરવાનો સમય આવ્યો ત્યારે એ બેજુબાન પણ રડતા હતા અને અમે પણ…! જોકે એ બધાને અત્યંત સુરક્ષિત જગાએ અમે મૂક્યા હતા. બાર્બી-ડાયેનાને તો અમે જ્યારે પણ ઇન્ડિયા આવીએ એટલે અમારી સાથે લઈ આવીએ.

આજે સવારે મારા ગામ ભડકદ જવું છે. આણંદ જિલ્લાનું સાવ નાનકડું અંતરિયાળ ગામ અને ત્યાં અમારા ગ્રામદેવતા છાંયલા મહારાજની દેરીએ બાધા કરવા જવું છે. નાનપણથી બા-દાદાએ  અમારામાં છાંયલા મહારાજ તરફ શ્રધ્ધાનું જબરદસ્ત આરોપણ કરેલું એટલે વર્ષે એકાદવાર તો હું ભડકદ દર્શન કરવા જાઉં.

અર્જુનસિંગને ગાડી લઈને બહુ જલદી બોલાવ્યા છે. છાપું આવવાની હજુ વાર છે. ચા પીતાપીતા અક્ષરધામ સાથેની અને એની સાથે જોડાયેલા લોકોની સ્મૃતિનું ધણ ધસી આવ્યું મારા તરફ. હીંચકા પર ઝૂલતાં ઝૂલતાં મન પણ સરવા માંડ્યું એ લોકોની સાથે. વિચારુ છું કે આપણા જીવન સાથે જોડાતાં લોકો શું કોઈ ઋણાનુબંધથી જ આવતા હશે..??? કર્મનો કાયદોતો કહે જ છે કે ગયા જન્મની લેણદેણનો હિસાબ આ જન્મે થાય છે. કેટલાક લોકો સંબંધે કાંઈ ના હોય પણ કેટલા નિકટ થઇ જતાં હોય છે તો કેટલાક રક્તથી જોડાયેલા પણ રક્તપિપાસુ બનતાં હોય છે અને ત્યારે થાય છે કે કુદરતના હિસાબોની ચુકવણી તો કરવીજ રહી.

બધાં જ લોકો, પશુપંખી અને માણસો બધાં યાદ આવી ગયા. ગોપાલસિંગ,આસુસિંગ,ઇન્દ્રવદન, હસવંત…શારદા, મણીબહેન….! આ બધાજ લોકો એમના મારા પ્રત્યેના ભાવ, આદર અને લાગણીથી મને તરબતર કરી ગયાં છે, ભીંજવી ગયાં છે. સાવ નીચલા વર્ગના અને સમાજની દ્રષ્ટીએ કહેવાતી નીચી જાતિના છે પણ મારા માટે એ મારા પરિવારના સદસ્ય છે. એ લોકો તદ્દન નિસ્વાર્થપણે કોઇપણ અપેક્ષા વગર સતત મારી પડખે ઉભા રહ્યા છે…મારી સેવા કરી છે. વર્ષ ૨૦૦૬મા હું જ્યારે મૃત્યુના દરવાજે દસ્તક દેતો ઉભો હતો ત્યારે એ લોકોએ એમની જેમાં શ્રદ્ધા હતી એ દેવ- દેવીને આજીજી કરી…પ્રાર્થના કરી…ઇબાદત કરી. ગોપાલસિંગે તો રાત-દિવસ જોયા વગર મારી ખૂબ સેવા કરી અને એમની સાથે  લેણદેણેય કેવી..! હું અમેરિકા કાયમ માટે ગયો અને એના છ-આઠ મહિનામાંજ ગોપાલસિંગ અવસાન પામ્યા.

આસુસિંગ અમારા માળી અને અક્ષરધામનો બગીચો સંભાળે. વર્ષો સુધી અમારી સાથે રહ્યા પછી એ દેશમાં-રાજસ્થાન જતા રહ્યા. બે-ત્રણ વર્ષ પછી એક દિવસ અચાનક વહેલી સવારે અક્ષરધામ આવ્યા અને મને જોઇને એમને હાશ થઇ. મારા માથે અને ચહેરાપર હાથ ફેરવ્યો અને ખાતરી કરી કે એ સપનું તો નથી જોતાને…! રસોડામાં જઈ બે-ત્રણ ગ્લાસ પાણી પી આવ્યા. આ એ સમય હતો જ્યારે મારી હાર્ટ સર્જરી પછી હું હોસ્પિટલથી ઘરે આવ્યો હતો. આમ સાવ અચાનક આવવાનું મેં કારણ પૂછ્યું તો એમની આંખો ભરાઈ આવી અને કહે: “સાહેબ બે દિવસ પહેલા મને મારા “ભેરુ બાબા” સપનામાં આવ્યા અને કહ્યું તારા સાહેબ મુશ્કેલીમાં છે એટલે હું તો રાતની બસ પકડીને આવી ગયો. બસ હવે તમને જોયા એટલે મને શાંતિ થઇ. મારા ભેરુબાબાએ મને તમને મળવા મોકલ્યો સાહેબ.” ભેરુબાબા એટલે કાલ ભૈરવ અને આસુસિંગ ભૈરવના ચુસ્ત ઉપાસક હતા.

ઇન્દ્રવદન અને હસવંત એ  હરીજન પરિવારના બાપ-દીકરો આવતા જન્મે મારા દીકરા થઈને જન્મે તો નવાઈ નહિ. ઇન્દ્રવદન મારો પ્યૂન હતો અને મારી આંખ ફરે અને ઇન્દ્ર્વદનના પગ ફરે. એને ખબર હોય કે સાહેબને ક્યારે અને શું જોઇશે. મારી તમામ આદતોથી, વ્યસનોથી અને વ્યવહારોથી એ વાકેફ. મારું પ્રમોશન થયું અને ટ્રાન્સ્ફર થઇ અને થોડાં વર્ષો મારાથી દૂર થયો બસ એની જીવનની એ કરુણતા કે એ દારૂની લતે ચડી ગયો અને મરી ગયો પણ એનો દીકરો હસવંતતો નાનપણથી જ અમારી સાથે અક્ષરધામમાં જ ઉછેર્યો અને આજે પણ અમને પપ્પા-મમ્મીજ કહે છે. અક્ષરધામનું અંગત ખાનગી બધું એને ખબર હોય.

****                        ****                             ****

એક્ષપ્રેસ હાઈવે પર ગાડી ૧૨૦ કિમી ની ઝડપે દોડી રહી છે અને મન એનાથીયે વધારે ગતિથી ભાગી રહ્યું છે મારા ગામ ભણી. ભડક્દની હદમાં પ્રવેશતાં આવેલું તળાવ અને એના સામે પશ્ચિમ કાંઠે આવેલું મહાદેવનું બહુ જૂનું મંદિર. હું અને જમનાગીરી ત્યાં રોજ સાંજે આરતી કરવા જતા. જમનાગીરી મારો બાળપણનો દોસ્ત અને એના બાપુ પુજારી હતા એટલે ગામના બંને મહાદેવની પૂજા આરતી એ કરતા. તળાવના કાંઠે આવેલું પીલુડીનું ઝાડ અને એ ઝાડ પર ચડીને તળાવમાં ભૂસકા માર્યાનું યાદ આવ્યું. બા કપડાં ધોવા તળાવે જાય ત્યારે હું અને મારા ભાઈબંધ અચૂક એમની સાથે જતા અને મન ભરીને ધુબાકા મારતા ખૂબ મસ્તી કરતા… આજે એ વાત વિચારતાં પણ કંપારી છૂટે છે પણ મને યાદ છે એક બાજુ ગામના ઢોર નહાય અને એની બાજુમાં અમે પણ નહાતા. એક નોસ્ટેલજીક અનુભૂતિ થાય છે… એ ૫૦ વર્ષ પહેલાની મસ્તી અને તોફાન અને બધું યાદ આવતાં.

મારું ગામ સુવિધાઓ વગરનું સાવ અવિકસિત. ઓછું શિક્ષણ પણ પ્રેમાળ લોકોથી ભરેલું જ્યાં બે કૂવા, એક તળાવ, બે મહાદેવના મંદિર, એક રામજી મંદિર, એક સ્વામીનારાયણ મંદિર, વડના ઘટાદાર સાત આઠ ઝાડ છે અને એમાંય ગામની દખણાદી ભાગોળે આવેલો રામો ડુઓ વિશાળ વડનું ઝાડ, એક લાઇબ્રેરી છે અલ્પ પુસ્તકો સાથેની, એક પ્રાથમિક નિશાળ છે અને હવે તો હાઈસ્કૂલ પણ છે. એક સાર્વજનિક દવાખાનું છે.

ભાથીખતરીનું દેરું, છાંયલા મહારાજની દેરી, ગાંડા દેહઈની મેલડી માતાનો મઢ છે. ઓતરાદી ભાગોળે જતાં ચબૂતરો અને એની સામે પંચાયતનું મકાન છે, અહીં પોસ્ટ ઓફીસ છે, પુનમકાકા પોસ્ટ ઓફીસ સંભાળે છે. રમણ દેહઈનું બીડીનું કારખાનુંય અને ચતુરકાકાની દરજીની દુકાન પણ છે. આ ગામમાં ધારાળા અને પાટીદારોની વસતી વધારે, પાંચ-છ ઠક્કરોનાં ઘર બે-ચાર બ્રાહ્મણનાં ઘરો, દસ-બાર હરિજનના અને દસેક મુસલમાનોનાં ઘર.

અર્જુનસિંગે ગાડી ટોલનાકા પાસે ઉભી રાખી ત્યારે હું અચાનક ભડક્દથી અહીં ટોલનાકે આવી ગયો… ટોલટેકસ ચૂકવીને ગાડી દોડવા માંડી સડસડાટ અને મારું મન પણ ફરી પાછું ગામ સાથે જોડાયું. મારા દોસ્તો જમનાગીરી, અરવિંદો અને નટુ વાળંદ, મફો રબારી, લીલીફોઈનો કનુ, શકરાકાકા ની મધલી અને પુષ્પી, પુંડરીક બ્હામણ, દીનો(મારો કાકો થાય), હર્શદીયો, ડગડી અને લલી એ બેય મારાથી ઉંમરમાં બહુ નાની પણ મારી કુટુંબી ફોઈ થાય. આ ગામમાં કાશી ગટ્ટી અને નાકકટ્ટી ડોશી હતી.. એકાવાળા ઈસ્માઈલકાકા અને સુબાકાકા અને જેમણે મને લાગણીથી બહુ ભીંજવ્યો છે એ મારા જહાંગીરકાકા પણ છે.

ભાગોળમાં ગાડી પ્રવેશી અને સીધા છાંયલા મહારાજની દેરીએ ગયા… દર્શન અને બાધાનું કામ આટોપી ગામમાં એક ચક્કર મારીને ત્યાંથી અમદાવાદ જવા નીકળી જઈશ એમ વિચાર્યું. ગામમાં હવે અમારું ન તો ઘર હતું કે ના કોઈ સગુંવહાલું પણ કેટલાંક જૂના લોકો હતા જે પરિવારો સાથે હજુ સંબંધ જળવાઈ રહેલો. અર્જુનસિંગને ગાડી ગામમાં લેવા જણાવ્યું….ગામનાં એકેએક ઘર…રસ્તા…. ઝાડ-પાન, ખડકી-મહોલ્લા, મંદિર-મહાદેવ, આવનજાવન કરતા લોકો ઘણું બધું બદલાયેલું નજર આવ્યું પણ હું મારા એ ભડકદમાં મારું બચપણ શોધતો રહ્યો..મારા એ દોસ્તો ને શોધતો રહ્યો.. મારા કાનમાં અચાનક મહાદેવમાં થતી આરતીનો ઘંટારવ અને ભોળીભાળી જબાનમાં ગ્રામજનો દ્વારા કર્કશ અવાજમાં થતી આરતીનો નાદ સંભળાયો. ગાડી રોકાવી. બરોબર ગામના ચૌટામાં જ ઠક્કરની ખડકી અને ગામના મુખ્ય રસ્તા પરજ  દાદાજીની દુકાન અને અમારું ઘર દેખાયું…. અને એ સાથે સ્મૃતિનું આખેઆખું ધણ મારું શૈશવ લઈને આવી પહોંચ્યું.

દાદા અંબાલાલ શેઠનો ગામમાં વટ-આબરૂ જોરદાર. નગરશેઠ કહેવાય. આજુબાજુના દસ-બાર ગામોમાં દાદાનો વેપાર વિસ્તરેલો અને બધાજ ગામોમાં અંબાલાલ શેઠનો મોભોજ આગવો અને એમના મોભાને લઈને અમારોય ગામમાં ખૂબ વટ. મંદિર-મહાદેવ, સાર્વજનિક દવાખાનું, ચબૂતરો આ બધાનો વહીવટ એમના હસ્તક. ગામમાં કોઈ પણ મહત્વનો નિર્ણય લેવાનો હોય તો એમનો અવાજ મુખ્ય હોય.

અમે અમદાવાદ રહીએ એટલે વેકેશનમાં જવાનું થાય અને પાછું વધારેતો હું જ જાઉં. એકાદ બે વર્ષે અમે બધા ભાઈઓને લઈને જયા (હવે અમે એને મમ્મી કે જીમી કહીએ છીએ) ભડકદ જાય ત્યારે દાદા અમને સ્ટેશનથી લેવા એકો મોકલે. નડિયાદથી ભાદરણવાળી નાની ગાડીમાં દેવાના પાટિયે ઉતરવાનું અને ત્યાંથી એકાદ ગાઉ દુર અમારું ભડકદ ગામ. ઈસ્માઈલકાકા એકો લઈને અમને લેવા આવે. મમ્મીને બધા જયાભાભી કહે અને આમન્યા પણ ખૂબ રાખે. બસ અમારું આગમન થયાની જાણ થતાંજ ગામલોકો વારાફરતી મળવા આવી જાય. જહાંગીરકાકાને તો અગાઉથી  જ ખબર પડી ગઈ હોય કારણ કે બા એ એમને પહેલેથીજ મમ્મીની મદદમાં રોકી લીધા હોય. પાણી ભરવા કુવે જવું પડે. આઘું ઓઢીને અને માથે બેડાં મુકીને ગામ વચ્ચેથી પાણી ભરીને આવવાનું. મમ્મીની ઉંમર નાની અને બેડાં માથે ઊંચકવાની પ્રેક્ટીસ નહિ એટલે એક વખત ગામ વચ્ચેજ બેડું પડી ગયેલું અને બસ ત્યારથી જહાંગીરકાકાએ પાણી ભરવાની જવાબદારી સ્વૈચ્છિક રીતે સ્વીકારી લીધેલી.

“ શમુકાચીઈ….(શમુકાકી) ભૈશા’બ આ ભાભીને પોણી ભરવા શું કોમ મોકલો સો… ઉં છું નઅઅ…ઉં ભરી લાયે પોણી…પણ ભૈશાબ આ બચારી નોની બાર ભાભીને કુએ ના મોકલશો”  ત્યારથી અમે જઈએ ત્યારે પાણી ભરવાનું કામ જહાંગીરકાકાનું. અમારા દસ-પંદર દિવસના કે એકાદ મહિનાના રોકાણ દરમ્યાન જહાંગીરકાકા અમારી સેવામાં હોય. ક્યારેક શાકપાંદડું લઈ આવે અને બા ને કહે…” શમુકાચીઈઈઈ… લ્યો બર્યું ઉં આ તુવરની શેંગો અન પાપડી લાયો સુ તે આ શોકરાંઓન ભૈડકું કરી આલજો….” અમને બધાને જોઇને ખૂબ પ્રેમાળ જહાંગીરકાકાનો હરખ ના માય. સતત એમને એમજ થાય કે હું આ બધા માટે શું કરું? વળી પાછા બે-ચાર દિવસ થાય એટલે મોટી પવાલી ભરીને દૂધ લઈ આવે અને એમના વિલંબિત લય અને આગવા લહેકામાં બાને કહે “ શમુકાચીઈઈઈ આ શોકરાંઓન બચારોંનઅ અમદા’દમોં ચ્યો દૂદપાક ખાવાનો મલવાનો તે લ્યો બર્યું મું આ દૂદ લાયો શુ તે ઓમને દૂદપાક કરી આલજો..” આવે એટલે બાની જોડે બેસે ગામની બધી વાતો કરે અને બાની છીંકણીની ડબ્બીમાંથી મોટી ચપટી ભરીને બેય બાજુ વારાફરતી છીકણી ચઢાવી દે..

એમની વિશિષ્ટ વેશભૂષા અને એમનો દેખાવ, એમની ચાલ, એમનો અવાજ અને એમનો બોલવાનો લહેકો તદ્દન સ્ત્રૈણ… દાદાની દુકાને થી પટાવાળું ભૂરું કે કથ્થઈ રંગનું કાપડ ખરીદે અને એક કાપડમાંથી લેંઘો અને સેન્ડો બંડી ચતુરકાકા પાસે સિવડાવે. વાળ પાછળથી લાંબા રાખે. એમની આ મનોશારીરિક અવસ્થાને કારણે એ ગામમાં બહુ લોકો જોડે ભળે નહીં. બા-દાદા એમને બહુજ સાચવે એટલે  જહાંગીરકાકાને પણ એમના પર બહુ ભરોસો. બાને એ ક્યારેક શમુકાચી કહે તો ક્યારેક બા કહીને બોલાવે અને દાદાને તો એ હંમેશાં બાપુ જ કહે.

હું કુટુંબમાં સૌથી પહેલું સંતાન એટલે સૌનો લાડકો. બા એ મારા જન્મ પહેલા બાધા રાખેલી અને મને ભીખારી કરેલો એટલે ગામમાં મારું નામ ભીખો-ભીખલો કે ભીખા શેઠ. જેવી જેની મારી સાથેની આત્મીયતા-લગાવ કે અંતર અને એ પ્રમાણે મને સૌ સંબોધન કરે. નાનપણમાં આપડે બહુ તોફાની અને દાદા બહુ ગુસ્સાવાળા એટલે ક્યારેક દાદા ચીડાય એટલે નેતરની સોટી લઈને મારવા દોડે… મોટેભાગેતો હું એમના હાથમા ના આવું…. સીધો પહોંચી જાઉં જહાંગીરકાકાના શરણમાં. બસ પછી કોઈની તાકાત છે કે મને હાથ અડાડે…!! દાદાનો સામનો એ મક્કમતાથી કરે.. “ ઓવઅઅઅ… શેના મારવા દોડ્યા સો…..????? ના…ના આથ અડાડ્યો સ તો પશે તમારી વાત તમે જોણજો હા… ઓવ મોટા નેકળી પડ્યાશ શોકરાન બચારાન મારવા… મારા હમ છ જો અમાર ભીખાશેઠને આથેય અડાડ્યો સ તો..”

દાદાને ધરાહાર પાછા વળવુંજ પડે…

આવી નાનીનાની અનેક ઘટનાઓ મારા બાળમાનસ પર અંકિત થઇ ગયેલી જે અત્યારે મન:તલ પર ઉભરી આવી.

એક વખત દાદા વેકેશનમાં મને લઈ ગયેલા અને હું બહુ માંદો પડ્યો… તાવ ઉતારવાનું નામ જ ના લે.ગામમાં એકજ ડૉક્ટર અને એમની દવા ઉપરાંત ઘરના ઉપાયો અને શમુબાની બાધા-આખડી પણ તોયે કોઈ અસર ના થાય. જહાંગીરકાકાને ખબર પડી અને આવ્યા ઘરે… દિવસ-રાત મારી જોડે બેસી રહે…. અને પછી ધીમેધીમે તાવ ઉતરવા માંડ્યો. પછી એમણે કહ્યું કે આ મો’રમે ભીખાને તાબૂતના દીદાર કરએશ… ભડકદમા બહુ થોડા ઘર હોવા છતાં મોહરમે તાબૂત નીકાળતા અને યાદ આવે છે મને કે તાબૂતના દીદાર કરવા લઈ ગયેલા ત્યારે હું બહુ ડરી ગયેલો.

****                     ****                     ****

અર્જુનસિંગ સમજી ગયેલા કે હું મારા બાળપણની સ્મૃતિમાં ખોવાયો છું પણ ખાસો એવો સમય થઇ ગયો એટલે એમણે મને પાણી આપ્યું…. મારી તંદ્રા તૂટી, હું એ નોસ્ટેલ્જીયામાં થી બહાર આવ્યો. કોઈકે જમનાગીરીને સંદેશો આપ્યો એટલે એ મને મળવા દોડી આવ્યો. મને એના ઘરે લઈ જવાના એના આગ્રહને મેં ખાળ્યો અને મહાદેવના ઓટલે જઈને બેઠા. એકદમ ઠંડક હતી અને હું એ બધી સ્મૃતિની અનુભૂતિ કરવા માંગતો હતો. બહુ વાતો કરી. જહાંગીરકાકાનું નામ લેતાંજ એણે કહ્યું:

“હવે જ્હોંગીરો ગામમાં બહુ બહાર નથી નીકળતો.”

“કેમ ??”

“એની મનોશારીરિક પરિસ્થિતિને કારણે હવેના છોકરાઓ એને બહુ હેરાન કરે છે.”

ગામમાં એમને નાનામોટા બધા જ્હોંગીરો કહીનેજ બોલાવે છે. બહુ દુઃખ થયું એ સાંભળીને….હવે મારું મન અધીરિયું થઇ ગયું એમને મળવા. અમે બંને ચાલતાં ચાલતાં નીકળ્યા અને અર્જુનસિંગ  ગાડી લઈને જહાંગીરકાકાના મહોલ્લા તરફ આવ્યા. અમે એમના ઘેર પહોંચ્યા અને હું તો આભોજ બની ગયો. એકદમ વૃદ્ધ સફેદ લેંઘો એકદમ પહોળી મોરીનો અને ઉપર બદામી રંગનું શર્ટ પહેરેલું. ઢીચણ સુધી લેંઘો ઉપર ચડાવેલો અને ઉભડક બેઠેલા. ચૂલા પર રોટલા કરતા હતા અને બાજુમાં દીવેટોવાળા પ્રાયમસ પર શાક મુકેલું. ઓશરીમાં ચૂલો હતો અને બહાર મહોલ્લામાં એમની પીઠ દેખાતી હતી. મારા મનમાં જે જહાંગીરકાકાનું ચિત્ર હતું એતો સાવ ઊલટું થઇ ગયેલું….મારું બાળપણ જે જહાંગીરકાકા જોડે વીતેલું એ જહાંગીરકાકા તો ક્યાંય દેખાતા ન હતા. હું તો દુવિધામાં હતો અને એમને ઓળખીજ ના શક્યો. જમનાગીરીએ મને કહ્યું:  “સામે ચૂલા પાસે રોટલા બનાવે છે એ જ છે તારા જહાંગીરકાકા”. હું થોડો નજીક ગયો અને પાછળથી બુમ પાડી.

“ જહાંગીરકાકા ….!!!” એમણે કદાચ સાંભળ્યું નહીં અથવા આ સંબોધન સાંભળવાની ટેવ એમના કાન ને છૂટી ગઈ હતી. મેં ફરી જરા જોરથી બુમ પાડી. “ જહાંગીરકાકા…!!”

એ ઉભડક  બેઠાબેઠા જ પાછળ ફર્યા. “ કોન હૈ બેટાઆઆઆઅ” એજ એમનો પાતળો અવાજ અને વિલંબિત લય…. મને આગંતુકને જોઇને જહાંગીરકાકા એકદમ ઉભા થઇ ગયા… અને પાછું યાદ આવતાં વાંકા વળી ને રોટલો કલાડીમાં ઉલટાવ્યો અને શાકનો પ્રાયમસ ધીમો કર્યો અને તાવડીમાં શાક હલાવ્યું. બાજુમાં ડોલમાંથી સહેજ છાલક મારી હાથ ધોયા અને શર્ટની કોરથી હાથ લૂછ્યા….અને ફરી પૂછ્યું “ કોણ હૈ બેટાઆઆ..”

“જહાંગીરકાકા મને ના ઓળખ્યો…?”

“ ના બેટા હાચુ… નઈ પે’ચાણા… અન અવ આ ઓંસ્યોય ઓછુ ભાળ સ..”

‘ જહાંગીરકાકા હું ભીખો.. ..”

“ ભીખો ….???”

“ હા હું ભીખો….અંબાલાલકાકાનો …મધુભઈનો છોકરો અમદાવાદથી આયો… આ બધા સંદર્ભોથી એકદમ ઓળખી ગયા અને એ પછીની એમની પરિસ્થિતિ અને મારી પરિસ્થિતિનો અનુભવ એ મારા જીવનની સૌથી વધારે આનંદમીશ્રીત દુઃખની ઘડી હતી.

“ ભીખા…બેટાઆ… તું ચ્યોથી અત્તારઅઅ…!!!”

મેં મારું ભડકદ જવાનું કારણ કહ્યું.. જહાંગીરકાકા તો એવા રઘવાયા થઇ ગયા જાણે એમને થતું હતું કે શું કરું…? પાણી લેવા ગયા અને પાછા વળીને આવ્યા અને ખાટલો પાથર્યો. સુતરનું વા’ણ ભરેલો ખાટલો જેમાં ઠેર ઠેરથી દોરીઓ ખસી ગયેલી અને એના ઉપર એમણે ડામચિયા પરથી ગોદડી લાવીને પાથરવા માંડી. ગોદડીની હાલત ખાટલા જેવીજ હતી. ગાભામાંથી બનાવેલી કાણા પડેલી મેલીઘેલી ગોદડી પાથરતા એ સંકોચાતા હતા એટલે મેં એમને કહ્યું.. “ જહાંગીરકાકા રહેવા દો હું અહીં નીચે બેસું છું” પણ એમને ખરાબ લાગશે એમ લાગ્યું એટલે હું એ કહે એમ કરતો રહ્યો.  ઘરમાં ખાસ કશોજ સામાન દેખાતો નહતો. અમે ઓશરીમાં બેઠા હતા અને અંદર એક ઓરડો હતો. એમણે તો વાતો કરવા માંડી અને રડવા માંડ્યું કારણ એમના માટે એ ઘટનાજ એટલી આશ્ચર્યજનક હતી કે એમને કોઈ મળવા આવે કે એમની ખબર જોવા આવે. જીવનભરના લોકોના ઉપહાસ અને ઉપેક્ષાએ એમને અત્યંત સંકોચી કાઢ્યા હતા. મારી બરોબર અને અડોઅડ એ બેઠા હતા. મારા માથા પર અને મારા ચહેરા પર એ હાથ ફેરવતા જાય અને ચોધાર આંસુએ એ રડતા જાય. “ મેરા બેટા… મારો ભીખો.. મારા દીકરા તું મારી ખબર લેવા આયો બેટાઅ….” આ પ્રેમની અનુભૂતિ એ જીવનની સર્વોત્તમ ક્ષણ હતી… અને એમના આંસુ અને એમનો મારા પ્રત્યેનો પ્રેમ જોઇને ગમે એવા પથ્થર દિલ ઇન્સાનની આંખો પણ કોરી ના રહી શકે. પછી તો એમને બા-દાદા સાથેના એમના જીવનમાં બનેલા પ્રસંગો યાદ કરવા માંડ્યા અને કહેતા કહતા રડવા માંડ્યા.

“ મારી બા અન મારા બાપુ ન ઉ બઉ વા’લો અતો ભીખા..!” હવે એમણે દાદા અને બા ને મારી બા અને મારા બાપુ થી સંબોધવા માંડ્યા.

“ બેટા ઉ તો બઉ એકલો થઇ જ્યો. મારી બા અન મારા બાપુ મન અંઇ મેલી અન અમદા’દ જતા રયા… પસ તો કુણ મારું..?? મારી બા મારી બઉ કારજી કરતી ‘તી. એક દાડો મન બઉ તાવ ચડ્યો અન ઉભોય ના થઇ હકુ તે મારા હાતર ખીચડી અન દૂદ લઈ ન આઈ મારી બા… મન ખવરાયુ અન પસે દાક્તર પોહેથી મારા હાતર દવા લઈ આઈ. મન દવા પઈ અન ચોંય હુધી મારી પડખે બેહી રઇ અન મારા માથ પોણીનાં પોતા મેલ્યા. મારી બાન ઘેર જત મોડું થ્યુ તે મારા બાપુય પાસર હોધતા હોધતા આઈ ચડ્યા અન પસઅઅ એય મારી પોહે બેઠા…” એટલું બોલતા બોલતા તો નાના બાળકની જેમ રડી પડ્યા… હું એમની બાજુમાં જ બેઠેલો પણ એમના ખભે હાથ મૂકી એમને આશ્વાસન આપવા જેટલી ના તો મારી હિમ્મત હતી કે નાતો મારી પરિસ્થિતિ કારણ હું પણ મારા આંસુ ને ન હતો ખાળી શકતો. એમની પાસે હું એકાદ બે કલાક બેઠો હોઈશ પણ એમાંની એકાદ બે ઘડી જ એવી હશે કે જ્યારે એ રડ્યા ના હોય.

ફળિયામાં એ વારંવાર નજર દોડાવતા હતા અને એટલામાંજ એક નાનકડો છોકરો દેખાયો અને એમણે બુમ પાડી “ ઇમરાન ઓ બેટા ઇમરાન ઇધર આતો બેટા…જા તો મેરે બચ્ચે દેખ મેં’માન કે વાસ્તે શોડા લીયા….” મારામાં કંઇજ નથી પીવું એવું કહેવાની હિમ્મત ન હતી. અનિચ્છાએ પણ હું સોડા ગટગટાવી ગયો. ક્યાંય સુધી વાતો કરી – સાંભળી અને પછી મેં ઇજાજત માંગી…” જહાંગીરકાકા… હું જઉં…?”

“ જઈશ બેટા…. અવ ચાણે પાછો આયેશ….?? દેખ બેટા અવ તો મલાય કે નાય મલાય… મુંય અવ ઘૈડો થઇ જ્યો તે પશ અવ તો કોંય કેવાય નઈ બેટા…”

એમની ઇજાજત લઈને હું ત્યાંથી નીકળ્યો અને ત્યારે જોયેલા એમની આંખોનાં આંસુ … એમનો આવજો કહેવા ઉંચો થયેલો હાથ….એમનો નિરાશ ચહેરો….અને મોઢામાંથી નીકળેલો એ “ આવજે બેટા..”નો અવાજ હું ક્યારેય નહિ ભૂલી શકું…તો એનો પડઘો તો હું કેમ કરીને પાડી શકવાનો ????

મહોલ્લામાંથી હું ડાબી બાજુએ વળ્યો ને મારી પીઠ દેખાતી બંધ થઇ ત્યારે પણ ઊંચા અવાજે એમના મહોલ્લામાં લોકોને સંબોધીને બોલાયેલા શબ્દો હજુ મારા કાનમાં પડઘાયા કરે છે.

“ મેરા બેટા થા….મેરા ભીખા….. અંબાલાલ શેઠ કા…. મેરી બા કા લડકા થા…મેરેકુ દેખને વાસ્તે આયા થા… મેરા ભીખા આયા થા….”

***********

વિજય ઠક્કર

ડિસેમ્બર ૨૭, ૨૦૧૬

રાતના ૨.૪૫ વાગે

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

રુદ્રવીણાના સુરસંગાથી….. સરદા

             

ધ્ય ગુજરાતની ચરોતરની સોનવર્ણી ધરાએ ૧૮૭૫ની ૩૧મી ઓક્ટોબરે એક સપૂતને જન્મ આપ્યો …. જીલ્લાના નડીયાદની કસદાર ભૂમિએ એની ગોદમા એક વજ્ર જેવું મનોબળ ધરાવતું એક પુષ્પ ખીલવ્યું અને તેજ વલ્લભ..

પિતા ઝવેરભાઈ અને માતા લાડબાઈનાં પાંચ પુત્રોમાંનો ચોથો પુત્ર તે વલ્લભ

પ્રાથમિક શિક્ષણ કરમસદમાં, અને માધ્યમિક શિક્ષણ પેટલાદમાં મેળવ્યું .

૧૮મા વર્ષે ઝવેરબા સાથે લગ્ન થયું.

૨૨માં વર્ષે ૧૮૯૭માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી.. એ વખતે મેટ્રિક પછી પ્લીડરની પરીક્ષા પાસ કરી વકીલાત કરાતી અને વલ્લભભાઈ પણ એજ રીતે થઇ ગયા પ્લીડર અને ઝુકાવ્યું મિજાજને અનુકૂળ તેવા સ્વતંત્ર વ્યવસાયમાં. પહેલા ગોધરા અને પછી બોરસદ કોર્ટમાં વકીલાતની કારકિર્દી શરૂ કરી અને અન્યાય સામે લડનાર એક કાબેલ પ્લીડર તરીકે ધીમેધીમે નામના પ્રાપ્ત કરી. વલ્લભભાઈ જ્યારે પણ બચાવપક્ષે હોય ત્યારે ભલભલા ન્યાયાધીશો પણ સાબદા થઇ જતા. પ્લીડર બન્યા પછી બેરિસ્ટર થવા ઇંગ્લેન્ડ જવાની તીવ્ર મહેચ્છા હતી અને તે માટેની તૈયારીઓ પણ કરી દીધી હતીપરંતુ મોટાભાઈ વિઠ્ઠલભાઈની બેરિસ્ટરનો અભ્યાસ કરવા જવાની  ઇચ્છાને શિરોમાન્ય ગણીને વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ ( વી.ઝેડ પટેલ)ના એડમીશન લેટર પર વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ (વી.ઝેડ.પટેલ)ને  વિલાયત જવા દીધા..

૧૯૦૯ની ૧૧મી જાન્યુઆરીના  દિવસે ચાલુ કોર્ટે તાર દ્વારા પત્ની ઝવેરબાના અવસાનના સમાચાર મળ્યા ત્યારે સેહજ પણ વિચલિત થયા વિના સ્વસ્થતાથી  કેસ લડવાનું ચાલુ રાખ્યુંવિઠ્ઠલભાઈના બેરિસ્ટર થઈને આવ્યા પછી ઝવેરબાનાં અવસાનને કારણે વલ્લભભાઇનું ઇન્ગ્લેંડ જવાનું એક વર્ષ ઠેલાયું.

૧૯૧૦ના ઓગસ્ટ માસમાં બંને બાળકોને વિઠ્ઠલભાઈ અને દીવાળીભાભી પાસે મુકીને વલ્લભભાઈ મિડલ ટેમ્પલ યુનિવર્સિટીમાં બેરિસ્ટર થવા ઇંગ્લેન્ડ ગયા. ત્રણ વર્ષનો અભ્યાસક્રમ દોઢજ વર્ષમાં પ્રથમ નંબરે ઇનામ જીતી પૂર્ણ કર્યો અને ૧૯૧૩નાં ફેબ્રુઆરી માસથી  બેરિસ્ટર વલ્લભભાઈએ અમદાવાદની કોર્ટમાં ફોજદારી વકીલ તરીકે કારકિર્દી શરુ કરી. માવલંકરનો પ્રસ્તાવ અને શેઠ કસ્તુરભાઈ અને રમણભાઈ નીલકંઠ જેવા વિચક્ષણ પુરુષોની નજરે  આ કોહીનુર પરખાઈ ગયો..અને વલ્લભભાઈને જાહેરજીવનમાં આવવા માટે સંમત કરી શક્યા. કોર્પોરેશનમાં જોડાઈને લોકોનું ભલું કરવાની તક તેમના જીવનમાં આવી પડી.

જોકે વલ્લભભાઈ ત્યારે ગાંધીજીના પ્રભાવમાં નહતા અને ક્યારેક ઠઠ્ઠો પણ કરતા. ગાંધી માટે તેઓ કટાક્ષમાં કહેતા આપણા દેશમાં મહાત્માઓનો પાર નથી. બ્રહ્નચર્ય અને સંડાસ સાફ કરવાની વાતોથી કે પોત્તડી પહેરી  લેવાથી આઝાદી મળી જતી હશે …?

હા, પ્રસિદ્ધી જરૂર મલી  જાય.”

વકિલમંડળમાં તેઓ નિડર અને કૂનેહબાજ તરીકે પંકાઈ ચૂક્યા હતા.એ સમયે વકીલો સૌથી વધુ રાજકીય પ્રવૃત્તિઓમાં પડેલા હતા અને એ નાતે પ્રણાલિકા મુજબ ૧૯૧૫માં ગુજરાત સભાના સભ્ય બન્યા.

.. ૧૯૧૭ના અરસામાં અમદાવાદમાં માથાભારે, ઘમંડી , જોહૂકમી અને ભ્રષ્ટાચારી મ્યુનિસિપલ કમિશનર જે ..શિલડીએ તંત્રમાં અસંતોષ અને ફફડાટ ફેલાવી મુકેલો. તેની સામે બાથ ભીડવવા નિડર,સ્વમાની અને અન્યાય સામે લડનાર કાનૂની કારીગરની જરૂર હતી. સૌએ એક અવાજે વલ્લભભાઈની પસંદગી કરી અને તેમને અમદાવાદના કોર્પોરેટર તરીકે ચૂંટી કાઢ્યા. બસ વલ્લભભાઈના જાહેર જીવનની અહીંથી શરૂઆત થઇ.

 

તેમણે કમિશ્નર શિલડીને અનેક રીતે પાઠ ભણાવ્યો, પછડાટ આપી અને છેવટે વહીવટી ગુનામાં ઝડપી ભારતમાં પહેલી જ વાર એક બ્રિટીશ આઈ.સી.એસ. અધિકારીને સરકારી પદેથી દૂર કરાવ્યો અને વલ્લભભાઈએ આમ તેમની વહીવટી કાબેલિયત પુરવાર કરી દીધી.

 

દરમ્યાન ૧૯૧૭માં ગુજરાત સભાની પ્રાંતિક સમિતિની બેઠક ગોધરામાં યોજાઈ અને તે સમયે ગાંધીજી ચંપારણના ગળીના ખેડૂતો માટે લડત ચલાવી રહ્યા હતા. ગોધરાની બેઠકમાં વળી વેઠપ્રથા નાબૂદ કરવા માટેની ગાંધીજીની જાહેરાતથી વલ્લભભાઈ ગાંધીજી તરફ આકર્ષાયા કારણકે બ્રિટીશરોની ગુલામીરૂપ આ વેઠીયાપ્રથા વલ્લભભાઈને પણ ખૂંચતી હતી. વલ્લભભાઈએ પ્રાંતિક સમિતિનું મન્ત્રીપદ સ્વીકારી, કલેકટર પ્રેટને પત્ર લખી વેઠિયાપ્રથા બંધ કરાવી. સ્વરાજ્યપ્રાપ્તિની સેનામાં જોડાવા ગાંધીજીએ  અન્ય કાર્યકરોની જેમ વલ્લભભાઈને પણ ટહેલ નાંખીકે હવે વેળાવેળાનાં પંખીઓને બદલે પૂર્ણ સમયના કાર્યકરો જોઇશે..આપ પૂર્ણ સમયના કાર્યકર તરીકે જોડાઈ જાવ.

 

વલ્લભભાઈ માટે આ કસોટીનો કાળ હતો…. જાણે ત્રિભેટે આવીને ઉભા હતાએક બાજુ વિઠ્ઠલભાઈ પુન: લગ્ન માટે દબાણ કરતા હતા અને બીજીબાજુ  માવલંકરનાં પ્રયત્નોથી તેઓ  ગાંધીજીના સમ્પર્કમાં આવ્યા અને સેવાપ્રવૃત્તિઓમાં જોતરાયા..ખુબજ નાજુક તબક્કામાંથી પસાર થઇ રહ્યા હતા. ખુબ ગડમથલ ચાલતી હતી .. વલ્લભભાઈ વિચારતા ઈશ્વર પણ કેવી કસોટી કરે છે આપણી..? એકબાજુ દેશની સેવા કરવી છે તો બીજીબાજુ સાંસારિક જવાબદારી છેએકબાજુ લાખ્ખો ખેડૂતોમારા બાંધવોનું હિત છે અને બીજીબાજુ મારા નમાયાં સંતાનો છે.. ખેડા જીલ્લામાં  અન્યાયી જમીન મહેસૂલનો સામનો કરવાની લડત માટે ગાંધીજી જેવા મહાત્માએ મારામાં વિશ્વાસ મૂક્યો છેએકબાજુ મારી ફરજ છે તો બીજીબાજુ મારું કર્તવ્ય છેહવે તો આ પાર કે પેલે પાર  નિર્ણય કરવોજ પડશે ગાંધીજી દેશબન્ધુઓના હિતમાં છેક બિહારમાં ચંપારણ સુધી દોડી ગયા છે જ્યારે હું મારા સ્વાર્થ ખાતર મારી લાગણીઓ ખાતર ઘરના ખૂણામાં ભરાઈ જાઉં..? નાં હવે કોઈજ અવઢવ નહિ.. હું મહાત્મા ગાંધીના દેશસેવાના આ યજ્ઞમાં આહુતિ આપીશજોડાઇશજ

આ હતો વલ્લભભાઇના જીવનનો ટર્નીંગ પોઈન્ટનિર્ણાયક તબક્કો..

બસ આ ચરોતરનો પાટીદાર જોડાઈ ગયો ગાંધીની સેનામાં

ગાંધીજીની ખાદી સાથે મેળ બેસાડવા વલ્લભભાઈએ બેરીસ્ટરીનો વિલાયતી પોશાક ત્યજી દીધો બસ હવેતો ખાદીનો જભ્ભો અને ધોતીજ નિર્ણય થઇ ચુક્યો…..વલ્લભભાઈએ દ્રઢ સંકલ્પ કર્યો..” આ જીવ હવે મારા દેશબાંધવો કાજે મારા ખેડુતભાઈઓ માટેગરીબ લાચાર લોકો માટેજીવનની ક્ષણેક્ષણ રાષ્ટ્રહિતમાં ખર્ચાશેસ્વાર્પણબસ હવેતો દેશ કાજે સર્વસ્વ અર્પણ…” 

ખેડાની લડતના મુખ્ય સુત્રધાર ગાંધીજી હતા અને વલ્લભભાઈ તેમના પ્રથમ પંક્તિના સાથી હતા. બંને માટે લડત અગત્યની હતી અને આ સત્યાગ્રહની  લડત ગાંધીની ગુજરાતની પહેલી સફળ લડત હતી. વલ્લભભાઈ માટે ખેડા સત્યાગ્રહ એ સત્યાગ્રહની તાલીમશાળા હતો. આ લડત દરમ્યાન તેઓ ગાંધી પદ્ધતીની લડાઈનું સુક્ષ્મ નિરીક્ષણ કરતા રહ્યા.. ખેડાની લડતનું જો સૌથી અગત્યનું પાસું કોઈ હોય તો તે ગાંધીજીને થયેલી વલ્લભભાઈની પ્રાપ્તિ..

 

આ બંને વચ્ચે ગાઢ સંબંધનો પાયો ખેડાની લડતે નાંખ્યો.

 

અહીં એ વાત નોંધવી જોઇકે પ્રારમ્ભમાં સરદાર, ગાંધીના ટીકાકાર રહ્યા હતા.. ગાંધીજીને વલ્લભભાઈ ચક્રમ માનતા અને બીજાઓની સામે ગાંધીજીની મશ્કરી પણ કરતા. પરંતુ ધીમેધીમે બંને એ એકબીજાને ઓળખ્યા અને ત્યારપછીની બેય વચ્ચેની નિકટતા  સૌ કોઈ માટે આશ્ચર્યજનક હતી, એટલુંજ નહિ ગાંધી સરદાર વચ્ચેની આત્મીયતા કોઇપણ માને તેનાથી કઇંક વિશિષ્ઠ હતી.. 

 સમયાંતરે વલ્લભભાઈ ગાંધીજીના પાકા ભક્ત બની ગયા.. જોકે તેઓ અંધ ભક્ત ન હતા કે પછી કંઠીબંધા ભક્ત પણ ન હતા. સરદાર, ગાંધીજીને ચાહતા અને તેમનો અપાર આદર કરતા પણ જ્યારે પણ તેઓ ગાંધીજીનાં વિચારો સાથે સંમત ના હોય તો તેમનો વિરોધ પણ કરતાખીલાફ્તની ચળવળ કે પછી ૪૪ પછીની કોઇપણ ગતિવિધિ હોય કે પછી ભારતના ભાગલાનાં નિર્ણયનો વલ્લભભાઈએ વિરોધ કર્યોજ હતો..

વલ્લભભાઈ ડાયલોગના માણસ ન હતા તેઓ તો એક્શનના માણસ હતા અને એટલેજતો એમનું વ્યક્તિત્વ લોકોને વધુ રાસ આવતું.. તે લોકોને સમજતાલોકોની નાડ પારખતા અને લોકોનીજ ભાષામાં વાત કરતા બારડોલી સત્યાગ્રહમાં તેમણે ખેડૂતોને કહ્યું કે   હું જેટલો ખેડૂતની વાત સમજી શકીશ એટલી બીજું કોણ સમજી શકશે..? ગાંધીજીની વાત અને તેમના વિચારો તમને નહિ સમજાય. હાગાંધી પણ આ હકીકતથી વાકેફ હતાજ અને એટલેજ ગાંધીજીએ બારડોલી સત્યાગ્રહમાં વલ્લભભાઇનેજ અગ્રેસર કર્યા.

નાગપુર, બોરસદ અને બારડોલી આ ત્રણેય સત્યાગ્રહમાં વલ્લભભાઈએ સરકારને નમાવી અને એટલેજ બારડોલી સત્યાગ્રહ પછી પ્રજાએ તેમને સરદાર કહ્યાએક નવી ઓળખ આપીઅને પછીતો વલ્લભભાઈ સમગ્ર દેશ અને વિશ્વભરમાં વસતા ભારતીયો માટેજ નહીં સમસ્ત વિશ્વ માટે સરદાર બની ગયા.

વલ્લભભાઈએ હંમેશા ગાંધીજીના શબ્દને પુરતું સન્માન આપ્યું છે અને એટલેજતો એને ઉવેખવાનો તો  પ્રશ્નજ ઉપસ્થિત થતો ન હતો. ૧૯૨૯મા કોંગ્રેસપ્રમુખ થવાનું નક્કીજ હતું અને  ત્યારે મોતીલાલે જવાહર માટે ઇચ્છા વ્યક્ત કરીગાંધી પણ તેમાં સંમત હતાસરદારે ક્ષણ માત્રમાંજ પોતાનું નામ પાછું ખેંચી લીધું. બસ આજ સમયથી નહેરુનો પ્રભાવ ભવિષ્યની કોંગ્રેસ અને હિન્દુસ્તાનના ઈતિહાસ પર કાયમ થયો..જોકે  એની સારી માઠી અસરોનું પૃથક્કરણ સરદારના જીવનવૃતાંતમાં કરવું તે અસ્થાને અને અયોગ્ય ગણાશે.. પરંતુ લોકદ્રષ્ટીએ સરદારને અન્યાય થવાની આ શરૂઆત હતીજેનું વારંવાર પુનરાવર્તન થયું અને એવા પ્રસંગોમાથીજ તો થઇ  ભારતના ઇતિહાસની દિશા બદલાવાની શરૂઆત પણ…!!!

સરદાર જાણતા હતાસમજતા હતા કે ગાંધીજીને, સરદારકે સુભાષ કે અન્ય કોઈની પણ નહિ પરંતુ જવાહરની લાગણીની વધુ ચિંતા હતી તેમ છતાં આ વીલક્ષણ પુરુષનાં હૃદય કે મનમાં ગાંધી તરફ અંશમાત્ર પણ અભાવનો સુર ઉઠતો નથીજેમના માટે સરદારે ઘરપરીવાર છોડ્યોજીવનમાં બીજી કોઈ બાબત કરતા ગાંધીજીના અભિપ્રાયનેજ સૌથી વધુ મહત્વનો ગણ્યો હતોએટલે સુધીકે પોતાની જાત ઉપરવટ જઈને પણ તેને નખશીખ સ્વીકારી લીધો હતો તેમછતાં જ્યારે ૧૯૪૨મા મહાસમિતિના અધિવેશનમાં ગાંધીજીએ ભરસભામાં જવાહરને પોતાના વારસદાર ઘોષિત કરતા કહ્યુ કે મેં અનેક વખત કહ્યુ છે અને અહીં પણ એજ વાત દોહરાવું છું કે સરદાર કે રાજાજી નહિ પણ જવાહર મારા વારસદાર થશે અને મારા ગયા પછી જવાહર મારી ભાષા બોલશે…..”

 

જ્યારે જાહેરમાં આવી અવગણનાં થતી અનુભવ્યા પછી સરદારના મનમાં શું વીતી હશે તેનો આપણને કોઈજ અંદાજ આવી શકે છે ખરો? પણ આતો સરદાર હતા.. તેમણે એક હરફ સુધ્ધા ઉચ્ચાર્યો હોવાનું ઇતિહાસે ક્યાંય પણ નોંધ્યું નથી..

 

હિન્દ છોડો આંદોલનની વાત સાથે સરદાર સૌથી પહેલા સમ્મત થયાજવાહરનેતો ગાંધીના કહેવાથી સરદારે સમજાવ્યા અને તેમને સંમત કર્યા.. અને વિધિની વિડમ્બના કહોકે ગાંધીજીની દ્રોણદ્રષ્ટિ કહોફરી એકવાર જાહેરમાં ગાંધી જવાહરને વારસદાર ઘોષિત કરતા કહે છે કે જવાહર જેવું અને જેટલું જોશ અન્ય કોઈમાં નથી..”

 

ત્યારે પ્રશ્ન થાય કે આટલો ડાહ્યો અને મુત્સદી પુરુષ પણ એક નાની અને સાદીસીધી વાત કેમ નહિ સમજી શક્યો હોય કે કે રાજ્ય ચલાવવા માટે જોમ અને જુસ્સો નહિ પણ દુરન્દેશી અને મુત્સદીગીરીની વધારે જરૂર પડવાની હતી. ઈતિહાસ તરફ નજર કરીએ તો ચોક્કસ સમજાશે કે અંગ્રેજોના મોટાભાગના નિર્ણયો અને ચુકાદાઓ અંગે સરદારની આગાહી હંમેશા સાચી પડતી અને ગાંધી મોટાભાગે ખોટા પડતા.

 ગાંધીના મને સરદાર અને જવાહરની શ્રેષ્ઠતાની તુલનામાં એવું અનુમાન કરી શકાય કે અહીં ગાંધીએ વણિકચતુરાઈ પ્રયોજી છે. તેમને શતપ્રતિશત ખાત્રી હતી કે જવાહરની વરણી થવાથી ભારતે સરદારની સેવા નહીં ગુમાવવી પડે. તેઓ જાણતા હતા કે વલ્લભભાઈની નિષ્ઠાને અંગત સ્થાન સાથે કશોજ નાતો ન હતો, સરદારે પોતાનો પ્રભાવ કે સત્તાનો ઉપયોગ પોતાના લાભ માટે કે પોતાના સંતાનોના હિતાર્થે કર્યો નથીજતેમના માટેતો દેશહિત પહેલું અને બાકીનું બધુજ ..અરે પોતાની જાત પણ પછી

અને હાઆ બાબતમાં ગાંધી પૂરેપુરા સાચા હતા.

સરદારની દેશભક્તિ કોઇપણ સંદેહથી પર હતી..એમના રાષ્ટ્રવાદી હોવા બાબતે લેશમાત્ર શંકા થઇ શકે તેમ ન હતી પરંતુ  વાંકદેખી, અણઘડ, અજ્ઞાન અને  નગુણી પ્રજા કે જેને પોતાના ઈતિહાસ સાથે  સ્નાનસુતકનો સમ્બન્ધ નથી એણે શંકા કરી.

સરદાર કોમવાદી અને મુસ્લિમ વિરોધી હોવાનો આરોપ મઢી કાઢ્યો.

સરદારતો એ વ્યક્તિ હતા જેમને ગાંધીના તમામ વિચારોમાં સંપૂર્ણ આસ્થા હતી, પછીતે ગ્રામવિકાસ માટેના હોય કે પછી હરીજન ઉધ્ધાર માટેના હોય કે બુનિયાદી કેળવણી, સત્યાગ્રહ કે હિન્દુમુસ્લિમ એકતા માટેના હોય.

 

સરદારની આ દેશને જો સૌથી મોટી અને અમૂલ્ય કોઈ ભેટ હોય તો તે અખંડ હિન્દુસ્તાનની છે. ૧૯૪૭મા ભારત સ્વતંત્ર થયું ત્યારે ૫૬૫ રજવાડા હતા. પ્રતિકુળ સંજોગોમાં સરદારે દેશી રાજ્યોનું ખાતું હાથમાં લીધુંસરદાર માટે સમય ખુબજ મહત્વનો હતો૧૫ ઓગસ્ટ પહેલા બધાજ રાજ્યો સંઘમાં સામેલ થઇ જાય એવી એમની ઇચ્છા હતી પરંતુ તેમની પાસે હતા ફક્ત ૪૦ દિવસએક ત્રિરંગાની આણ નીચે દેશના દરેક નાગરીકને લાવવાનું કામ રેતીમાં વહાણ ચલાવવા જેવું અઘરું હતુંપણ આજતો હતી સરદારની કુનેહ..આવડત દુરન્દેશી ….તેમની મુત્સદીગીરી તેમની વહીવટી કુશળતા..!!

એ જાજરમાન છતાં તુંડ મિજાજી, અણઘડ,ઘમંડી,અને ખુમારીવાળા બાદશાહો અને રજવાડાઓએ અખંડ ભારતના નિર્માણમાં એકતાનો સુર પુરાવ્યો

ભારતના પ્રહરી, એક અને અખંડ ભારતના નકશાનું  નકશીકામ કરનાર ઘડવૈયો..પ્રતાપી સેનાપતિ, અખિલ ભારતનો અધિષ્ઠાતા, કોન્ગ્રેસ પક્ષને એક સૂત્રમાં બાંધી રાખનાર મહારથી   કર્મઠ મહામાનવ અને યુગપુરુષનો જીવનદીપ ૧૫ ડીસેમ્બર ૧૯૫૦ના રોજ બુઝાઈ ગયો.. એ જ્વાળામુખી શાંત થઇ ગયો બરફમાં જ્વાળામુખી ઠરી ગયોઅને રુદ્રવીણાના સુરની સંગાથે સરદારનો આત્મા ચાલી નીકળ્યો અનંતની યાત્રાએ..

 

અંતમાં નરસિંહરાવ દિવેટીયાની  પંક્તિઓથી સરદારને આવો આપણે સૌ અંજલિ અર્પીએ:

 

 આપના વ્યક્તિત્વમાં સરદાર હે !

કેવાં વિરલ તત્વો તણુ અસ્તિત્વ સોહ્યું એક સાથે,

પુષ્પ શું કોમળ હૃદય, ‘ને વજ્રશી સંકલ્પશક્તિ,

એક સાથે ભક્તને યોધ્ધા તણી કેવી યુતિ..!

વાચાળ એવા ….લક્ષ્યવેધી તીર જેવા ..,

મૌન એવું ટાંકણું લેતાં પહેલાં,

કોક શિલ્પીની ભીતર આકાર લેતા મોહ્લ જેવું,

એક સાથે આપમાં જોવા મળ્યો,   આગને પાણી તણો અદભૂત ઈલમ,

આપના વ્યક્તિત્વમાં સરદાર હે ! આપના વ્યક્તિત્વમાં સરદાર હે…..!

************

વિજય ઠક્કર

ડીસેમ્બર ૧૫, ૨૦૧૬

રાત્રે ૧.૦૫ વાગે

 

Gujarati eBook| રુદ્રવીણાના સુરસંગાથી… સરદાર | Biography | VIJAY THAKKAR

Gujarati eBook રુદ્રવીણાના સુરસંગાથી… સરદાર by VIJAY THAKKAR in Biography genre, Matrubharti is biggest source of Indian eBooks available on web, android and iPhone

Source: Gujarati eBook| રુદ્રવીણાના સુરસંગાથી… સરદાર | Biography | VIJAY THAKKAR